Monday, January 13, 2020

રુણાનુબંધ

રુણાનુબંધ

ભારતમાં રહેતો ત્યારે રુણાનુબંધ શબ્દ ઘણી વાર સાંભળતો. રુણાનુબંધ અર્થાત કોઇ વ્યક્તિ સાથે આકસ્મિક સંબંધ બંધાય અને એ આપણને કોઇ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના સતત મદદ કરતાં રહે. ક્યારેય કલ્પના પણ નહીં કરેલ કે પિસ્તાળીસ વર્ષે કેનેડામાં રહેવા આવવાનું થશે! ૨૦૧૭ માં અમારા સાળા નિર્મલ સિંહ ના મહેમાન થવા કેનેડા આવવાનું થયું. કેનેડા માટે કહું તો નિર્મલ સિંહ ના કારણે જ આવવું થયું. કેનેડા આવવાનું નક્કી થતા અમારા કડી ઘરના પડોશી ભરતભાઈ ના આગ્રહથી રજાઇના એમના ઘરે આવવાનું થયું. ભરતભાઈ સાથે કોઇ રુણાનુબંધ હશે કારણ એમના ઘરે રહ્યા અને એમણે જ નવરાત્રી ના ઉત્સવમાં વુડ રીવરના માલીક/ભાગીદાર અંકુરભાઇનો પરીચય કરાવ્યો અને અંકુરભાઇના સહકારથી જ ૨૦૧૮મા કેનેડા આવવાનું શક્ય બન્યું. અંકુરભાઇએ નિઃસ્વાર્થ મદદ કરી અને લફલેશ જેવા શ્રેષ્ઠ ગામમાં રહેવાની તક મળી. અંકુરભાઇ ધાર્મિક નિતીમાં માનનાર તેમજ કોઇની તકલીફ જોઇ એમના દુઃખ માં સહભાગી બનનાર હોઇ આ બે વર્ષ દરમિયાન કોઇ તકલીફ ન પડી. કદાચ મારા એમના સાથેના રુણાનુબંધ હોઇ શકે...!!
લફલેશ રહેવા આવ્યા પછી એવોજ અનુભવ અમારા પાડોશી લોરી ક્રોસેટીયર એમના પત્ની અનિટા નો થયો. પરદેશમાં આવા પડોશી મળવા એ અકલ્પનીય કહી શકાય! અહીં આવ્યો ત્યારે બરફમાં કેવી રીતે રહેવું ? ઘરના રસ્તા પરનો બરફ કેવી રીતે નિકાળવો ? ઘર કેવી રીતે સાચવવું ? ક્રીસ્ટમસ કે તહેવારોમાં સમયે શું કરવું ? કંઇજ ના સમજાય! દરેક બાબતમાં લોરી અને એમના પત્ની અનિટા મદદ કરે. એમના ત્યાં જમવા જવાનું થાય. એમને કાંઇ નવું બનાવ્યું હોય તો મોકલાવે તેમજ ઘરે કાંઇ પણ રીપેરીંગ હોય એ કરી આપે. વળી ક્યારે પણ એ માટે કાંઇ મહેનતાણું પણ ન લે. ખુબ સેવાભાવી. અમે ઘરમાં પરસ્પર વાત કરીએ ત્યારે લોરીને દાદા કહીએ. એમની ઉંમર ૭૬ વર્ષ હશે પરંતુ ક્યારેય કોઇ કામથી થાકે નહીં. મારો દિકરો હંમેશા કહે કે દાદા કેટલા મહાન છે ! કોઇ સ્વાર્થ વિના મદદ કરતાં રહે! કદાચ આ જ રુણાનુબંધ હશે !!
આમતો ધર્મગ્રંથોમાં ઘણીવાર વાંચેલ કે પૂર્વ જન્મનું કોઇ રુણ - દેવું બાકી હોય એ ચૂકતે કરવા જન્મ લેવો જ રહ્યોં. અમે ક્યારેય કલ્પના નહીં કરેલ કે કેનેડામાં અમને મદદ કરવા અંકુરભાઇ કે લોરી જેવા મહાત્માઓને અમારા પહેલાં પરમાત્મા એ કેનેડા મોકલ્યા હશે જેથી અમને એમની મદદ મળતી રહે.
આ સમયે મને કૃષ્ણ-સુદામા યાદ આવે. સુદામા ગરીબ જ્ઞાની - સ્વમાની બ્રાહ્મણ (મારી જેમ😀) હતાં જ્યારે કૃષ્ણ મહારાજ. કૃષ્ણ અને સુદામા વચ્ચે  રંણાનુબંધ ના કારણે જ સુદામા ના કાંઇ કહ્યા વિના કૃષ્ણ એ સુદામાને જરુરી બધું જ આપ્યું.
નિર્મલ સિંહ, ભરતભાઇ, અંકુરભાઇ કે લોરી અને સૌ મિત્રો- શુભેચ્છકો જે રીતે મદદ કરે છે એ માટે આભાર સિવાય શું કહી શકું ??? મુશ્કેલ સમયમાં સારા લોકનો સહકાર મળે એ પણ ખુબ જરૂરી છે. કદાચ અંકુરભાઇ કે લોરી જેવા મહાત્માઓને પરમાત્મા જરુરીયાતમંદની મદદ કરી શકે એ માટે જ સાધન સંપન્ન બનાવતાં હશે!
જીવનમાં દરેક ક્ષેત્રમાં મને કોઇની મદદ મળતી રહી છે. કદાચ એ જ 'રુણાનુબંધ'.



No comments: