Thursday, May 12, 2022

Castaway... હૃદયસ્પર્શી ફિલ્મ...

Castaway
લગભગ 2013-14માં જોયેલ. આ ફિલ્મ ઘણા વર્ષો પછી સમજમાં આવી. 
આ ફિલ્મનો મુખ્ય નાયક ચક એના મિત્ર સાથે એક કુરિયર કંપની શરૂ કરે છે. ધંધા પ્રત્યે પોતાના લગાવ અને ધગશથી રાત દિવસ મહેનત ના કારણે બહુ ઝડપી આ કંપની પુરા અમેરિકામાં ઝડપી કુરિયર સર્વિસ આપવા માટે પ્રસિદ્ધ થાય છે. ચક એની પત્ની અને દીકરીને ખૂબ પ્રેમ કરતો હોય છે. chuck ને એક ખુબ મોટું કન્સાઈન્મેન્ટ મલેશિયા પહોંચાડવાનો ઓર્ડર મળે છે. ચકની પોતાની જવાની ઇચ્છા નથી હોતી પરંતુ કન્સાઈન્મેન્ટ નું મહત્વ ખૂબ હોઇ પત્ની સાથે ચર્ચા કરી એ પોતે વિદેશ જવાનું નક્કી કરે છે. વિદેશમાં પહેલી વખત કામ કરવાનું હોવાથી અને સમયસર ડીલેવરી આપવાથી એને પોતાનું કંપની નું આને પરીવાર નું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ થશે એવું પત્ની સમજાવતા ચક વિદેશ જવા તૈયાર થાય છે. વિમાન પોતાની ઉડાન ભરી મલેશિયા તરફ જતું હોય છે ત્યાં રસ્તામાં જ મોટો અકસ્માત થાય છે અને વિમાન ક્રેશ થાય છે. વિમાન માં રહેલા સાથી કર્મચારીઓ મૃત્યુ થાય છે પરંતુ ચક ગંભીર રીતે ઘવાયા પછી બચી જાય છે. ચક કોઈક નિર્જન ટાપુ પર પહોંચે છે. વૃક્ષો સિવાય બીજું કંઈ જ હોતું નથી. થોડા દિવસો કોઈક વિમાન આવશે અથવા તો કોઈ જહાજ નીકળશે અને બચાવશે એવી રાહ જોતા ચક સમય પસાર કરે છે. પોતાની વહાલી દીકરી અને પત્નીથી દૂર રહેતા એ ખૂબ એકાંત અનુભવે છે. ક્રેશ થયેલ વિમાનમાં કેટલોક સામાન ટાપુ પર તણાઇને આવે છે એમાં એક વોલીબોલ પણ હોય છે. આ વોલીબોલમાં chuck પોતાની દીકરી નો ચહેરો બનાવી એની સાથે વાતો કરી સમય પસાર કરતો હોય છે. આ સમયે એને પગમાંથી પાક થાય છે. તબિયત એની ખૂબ બગડી જાય છે ખાવાનું કંઈ જ ન હોવાથી ખૂબ તકલીફ પડે છે, અને મહિનાઓ પસાર કરે છે. એક જુદાં જ પ્રદેશમાં જ્યાં કોઈ જ પોતાનું નથી ત્યાં એક એક પળ પસાર કરવી ચક માટે ખૂબ આકરી બનતી જાય છે. આમ છતાંય હિંમતથી ચક એક દિવસ જરૂર પોતાના પરિવાર સુધી પહોંચશે એ આત્મવિશ્વાસ સાથે દિવસો પસાર કરે છે. ફિલ્મમાં આ સમયગાળો ખૂબ રદય સ્પર્શી રીતે બતાવ્યો છે. ફિલ્મોમાં એવાં ખોવાઈ જવાય છે કે જાણે આપણે જ ચક હોઇએ. કેટલાક મહિનાઓ પછી એક જહાજ ચક ને જોઈ જતા એનું રેસ્ક્યુ કરી ચકને પોતાના દેશ અમેરિકા પહોંચાડે છે. માનસિક રીતે એ ખૂબ હતપ્રદ થઈ ગયો હોય છે. શું કરવું એ સમજાતું નથી થોડો સમય હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા પછી માનસિક રીતે સ્વસ્થ થયેલ chuck પોતાની પત્ની અને દીકરીને મળવા પોતાના ઘર તરફ જાય છે. એ મનમાં ખૂબ ખુશ હોય છે. પોતાની પત્નીને મળી એને પોતાના એક એક ક્ષણના અનુભવો કહેવા, પોતાની દીકરીને હેતથી રમાડવા ચક ખૂબ આતુર હોય છે. ચક પોતાના ઘરે પહોંચે ત્યારે જુએ છે તો એની પત્નીને એની ઓફિસના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હોય છે. આ દૃશ્ય ખુબ સાહજિક અને હૃદય સ્પર્શી બતાવ્યું છે. કેટલો શ્રેષ્ઠ અભિનય. પોતાની પત્નીને પરણેલી જોવી...દોઢ ફૂટ દૂર ઉભા રહી મળવું અને મૌન બની શુભેચ્છાઓ આપી છૂટાં પડવું.. પતિ-પત્ની બંનેના હૃદયની વેદના અનુભવે એની આંખમાં આંસું લાવી દે... હવે એની પત્ની એની રહી નથી. પત્ની અને દીકરીને થોડી ક્ષણો મળી ભાંગેલા હદય સાથે ચક એની ઓફિસ જાય છે. પરંતુ તેના મિત્રએ ચક મરી ગયો હશે એમ માની ધંધો પોતાના નામે કરી લીધો હોય છે અને હવે ફરી એ ધંધો આપવા માટે તૈયાર થતો નથી. આ સમયે ચક ને મનોમન લાગે છે કે જેમને હું મારું સર્વસ્વ માનતો હતો, જેમના કારણે મારા જીવનમાં આટલું બધું દુઃખ સહન કર્યું એ પત્ની અને મિત્રએ ખૂબ મોટો દગો દીધો અને એને મરવા માટે એકલો છોડી દીધો. એના સંતાન પણ નાની ઉંમરના કારણે એની માતા પાસે જ રહી શકે. કદાચ, હવે ચક પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો જ રહેતો નથી. ચક ને એમ થાય છે કે જેમને પોતાના સમજી પરત જવા પ્રયત્નો કર્યા એમણે આવો દગો દિધો ? હું પાછો આ બધું જોવા પાછો આવ્યો? એના બદલે મારી નવી દુનિયામાં જ રહ્યો હોત તો કેટલું સારું હોત...??!!! મારી દુનિયા માં બસ‌ હું હોત અને મારી એકલતા...
એક જ થાળીમાં જમીને જીવનસાથી દ્વારા મુશ્કેલ સમયે કેવો દગો દેવામાં આવે છે એની હૃદયસ્પર્શી રજૂઆત રામાયણ ના કૈકેયી-દશરથના દામ્પત્ય જીવન જેવી જ આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
સમય મળે આ ફિલ્મ જરૂર જોજો...

Friday, May 6, 2022

પિતાજી ની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ શ્રધ્ધા પૂર્વક ભાવાંજલિ...'...Death is a beautiful conclusion of life.'

'કેતન દિકરા ચલ જાગી જાય, તારે આજે બહુ કામ છે ભાઇ...' છેલ્લા એક વર્ષથી હું રોજ મારી જાતે જ આ બોલીને જાગું છું, કારણ હવે મને જગાડનાર મારા પિતાજીને શિવ શરણે ગયે આજે એક વર્ષ થયું. સંતાનો માં અમે બે ભાઇઓ અને એક બહેન. મારું જીવન સતત અપડાઉન અને છેકછાક વાળું રહેવાના કારણે કદાચ તેઓને મારા પર વધુ લાગણીભાવ રહેતો. મારા માટે સૌથી નજીકના વ્યક્તિ એટલે મારા પિતા. મારા માટે તેઓ જીવનના તમામ મુકામો પસાર કરી સૌ સાથે વિવાદ વિના જીવન પસાર કરનાર એક મહાન આદર્શ વ્યક્તિત્વ હતાં, મારા આદર્શ હતાં. કેનેડા આવ્યા પછી જાણે હું સાવ એકલો જ બની ગયો છું, મારી એકલતા અને મારા પ્રશ્નોથી અવગત મારા પિતા મને હંમેશા હિંમત આપતાં. હવે મને સંતાપમાં સંગાથ આપનાર કોઇ રહ્યું નથી. મારા માટે મારા પિતાજી જ હતાં જેઓ રોજ જુદા જુદા વિષયો પર ટેલીફોનીક વાત દ્વારા મારી એકલતા અને સંઘર્ષ ના દિવસોમાં મારો સમય પસાર કરવામાં મને મદદ કરતા. એમના સાથે મૃત્યુ સંદર્ભે થયેલ અવારનવાર ની ચર્ચા ઓ આજે એમની સ્મરણાંજલિ માં તાજી થઈ. આમતો છેલ્લા ઘણાં સમયથી મેં લખવાનું બંધ કર્યું છે પરંતુ આજે પિતાની યાદો એ એમની સાથે થયેલી મૃત્યુની વાતો લખવા મજબૂર કર્યો. તેઓ મને હંમેશા કહેતા કે,' બિનજરૂરી ચિંતા કે તનાવના સમયે લખવાથી મનને રાહત થાય. મને ડાયરી લખવાની આદત એમણે જ આપેલી ભેટ છે.
મૃત્યુ નો તેઓ ને ડર નહોતો અને સંપૂર્ણ પણે સ્પષ્ટ અને તૈયાર હતાં... એક ક્ષણ પછી મૃત્યુ નો સામનો કરવાની તૈયારી રાખવાની મને હિમંત કદાચ તેઓ દ્વારા જ મળી છે. એમના મૃત્યુ ના મહિના પહેલા થયેલ ચર્ચામાં તેઓ કહેતા કે, 'પરમાત્મા જ્યારે પણ કહેશે હું એમની પાસે જવા ઉત્સુક છું. હવે મને ન તો કાંઇ મેળવવાની ઇચ્છા બાકી રહી છે ન તો મોહ.' એમને પરમાત્મા એ ગમતું જીવન આપ્યાનો સંતોષ હતો. તેમના કહેતાં મોત છે તો જ જીવન છે, મોત છે તો જ નવનિર્માણ છે. જે દિવસે મનુષ્ય નું મૃત્યુ નહીં હોય એ દિવસે જીવન પણ નહીં હોય અને કદાચ આ સૃષ્ટિ પણ નહીં હોય! હશે તો માત્ર શૂન્યાવકાશ, શિવ સ્વરૂપ નિરાકાર સૃષ્ટિ. મૃત્યુ જ પૃથ્વીનું સંતુલન જાળવી રાખે છે એ સ્વીકારવું જ રહ્યું.

આજે મારા પિતાજીનો નિર્વાણ દિન છે. આજથી એક વર્ષ પહેલાં કોરોના ના બહાને પરમાત્મા એ એમને Spirit World માં પરત બોલાવેલ. હિન્દુ સંસ્કૃતિમાં સંન્યાસ આશ્રમની વ્યવસ્થા જ કદાચ ખુબ ઓછી જરૂરિયાત દ્વારા, સાદગી વાળું જીવન જીવી મૃત્યુ ના રહસ્ય ને સમજવા, પરમાત્માના નજીક આવવા અને સમાજસેવા માટે હતી. સંન્યાસી દરેક વ્યક્તિ માટે મૃત્યુ દિવસ એક વ્યક્તિગત તહેવાર જેવો હોય છે. કારણ હવે પરમાત્મા પાસે પરત જઇ માનવદેહ ધારણ કરી પરમાત્મા એ આપેલાં કર્મોના લેખાં જોખા કરવાની તૈયારી કરવાની છે... પરમાત્મા ને પૃથ્વી લોકમાં પોતાના દ્વારા કરાયેલા કર્મનો હિસાબ આપવાનો સમય છે.
 દર વર્ષે આવતો જન્મદિવસ કદાચ એ વાતની ખાતરી આપવા આવે છે કે એક વાર મરણ દિવસ પણ અચૂક આવશે. પણ આપણે કદી મોત વિશે વિચારતા જ નથી.આપણે આપણા મોત વિશે તો કલ્પના પણ કરતા નથી અને જાણવાં છતાં તમામ ખોટા કર્મ કરતાં રહીએ છીએ. જો આપણે આપણા વર્તમાનમાં થતાં કર્મ વિશે જાગૃત હોત તો મહાભારતમાં યુધીષ્ઠીરે આપેલો યક્ષપ્રશ્નનો જવાબ જ ખોટો સાબિત થાય ને?
જિંદગીની સૌથી રહસ્યમય ઘટના કોઈ હોય તો એ મોત છે. મોત વિના જિંદગી પણ જિંદગી ન હોત. જો મોતનું અસ્તિત્વ જ ન હોત તો જિંદગીને પ્રેમ પણ કોણ કરતું હોત? મોત છે, મોત આવે છે એટલે જ જિંદગી સારી લાગે છે. મોત ન હોત તો આખી માનવજાત પાગલની જેમ ભટકતી હોત. વિશ્વ માં નતો કોઇ શોધ થાત કે ન તો કોઇ જીવનનો આનંદ રહેત...ને કદાચ ભીષ્મની ઈર્ષામાં સળગતી હોત.

I think આપણો જન્મદિવસ જીવનના રોડ પર આવતો એ milestone છે જેના પર ચડી, એક ઉંડો નિરાંતનો શ્વાસ ભરી વિતેલા વર્ષો પર એક અછડતી નજર કરી લેવી જોઈએ. આગળ જોવું તો શક્ય જ નથી. કારણ? કારણ આગળ તો મોત જ આપણું છેલ્લું અચીવમેન્ટ છે. જન્મદિવસ તો ફિક્સ જ હોય છે કે એ આ તારીખે આવશે પણ મૃત્યુદિવસની તારીખ વિશ્વનું કોઈ કેલેન્ડર બતાવવાનું નથી. તમે ગમે તેટલુ આગળનું વિચારી રાખ્યુ હોય પણ મૃત્યુદિવસ કદાચ આવતીકાલે પણ આવી શકે અને શક્ય છે કે તમે આગળનું વિચારેલુ બધુ જ મનમાં રહી જાય. માટે એકવાર પાછળ નજર મારીને ચેક કરી લેવું જોઈએ કે આપણે આપણા મોત પહેલા શું શું કરવા ધારેલુ?

એ જરૂરી નથી કે મોત પહેલા કરવાની વાતો બધી મોટી ધાડ મારવાની જ હોય. એ ભાવતું જમવાનું, મનપસંદ ફિલ્મો જોઈ નાખવા, કેટલુક સાહિત્ય વાંચી નાખવાની કે ધરાઇ ને સૂવાની પણ હોઈ શકે. જીવનનો કોઈ ગોલ પણ હોઈ શકે. તેઓ કહેતા કે કાંઇ પણ કરતા પહેલા અંતરાત્માને પૂછી લેવું. આત્મા હંમેશા પરમાત્મા એ spirit worldમા આપેલી તાલીમ મુજબ કર્મ કરવા કહેશે અને મન હંમેશા એને ગમતો નિર્ણય લેવા મનાવશે. આથી જ કર્મ પહેલા એક વાર જરા એ તપાસી લેવું જોઈએ કે દિશા તો યોગ્ય જ છે ને? જો દિશા ભટકાયેલી લાગે તો જરા 'મૃત્યુચિંતન' કરી લેવું. જાતને એ વાતનો વિશ્વાસ આપવો કે મોત એ 'પીકુ' ફિલ્મના કથા નાયક ભાસ્કોર બેનર્જીના મોશન જેવું છે. એ ગમે ત્યારે આવી શકે છે. એ આવે એ પહેલા તમે શું કરી લેવા ઈચ્છશો?
 વાતના વિસામો મેળવવા ક્યારેક મૂંઝવણ ના મહાસાગર માં ફસાઉં ત્યારે આજે પણ પિતા સાથે વાત કરવા પ્રયત્ન કરું છું. ક્યારેક એમના જવાબ પણ મળવાનો આભાસ થાય. જ્યારે જ્યારે હું એમને પુંછું કે મારી સાથે જ આ બધું શા માટે? અને એમનો એક જ ઉત્તર હોય,'એની પાછળ કારણ છે, જે કહેવા મને પરવાનગી નથી.' There is a reason for everything. તો ક્યારેક એમ પણ કહે કે દેહ ધારી તમે જેટલાં વ્યસ્ત છો એના કરતાં વધુ વ્યસ્ત અમે છીએ. મૃત્યુ પછીના પહેલાં એક બે વર્ષ સતત હર્ષ અને આનંદ વચ્ચે ઝોલાં ખાતા રહેવું પડે કારણ છેલ્લા જન્મ સમયના સાથીઓના વર્તન અને ત્રણ ચાર વર્ષ પહેલાં મૃત્યુ લોક છોડેલ લોકોનો આનંદિત સમય સતત અવઢવમાં રાખે. કદાચ એટલેજ ત્રણ વર્ષ પછી શ્રાદ્ધમાં ભેળવવાનો અર્થાત્ પૂર્ણ મોક્ષ અને નવા જન્મની તૈયારીઓ ને આપણે પણ સ્વિકાર્યું હશે. 
મારા પિતાજી સાથે આભાસી પણે બહુ ઓછી થતી વાતો પછી લાગે કે તમામ ઉપાધી ના દર્દમાંથી મુક્તિ નો આનંદદાયી ઇલાજ મૃત્યુ છે. 'Death is a beautiful conclusion of life.' આથી જ કોઇ પણ સમયે મૃત્યુ ને આનંદ સાથે સ્વિકારવાની તૈયારી રાખવી જરૂરી છે. જીવનનું સત્ય મૃત્યુ જ છે. દિલમાં બેઠેલ અને એક જ થાળીમાં ખાવાનો ડહોળ કરનાર આપણી પીઠ પાછળ ખંજર ભોંકી જીવનભરની પીડા આપનાર મળશે પરંતુ મૃત્યુ ક્યારે પણ દગો નહીં દે, એ તો આવશે જ. કોઇ ફિલ્મ નું ગીત છે ને,
'જિંદગી તો બેવફા હે એક દિન ઠુકરાયેગી,
મોત મહેબુબા હે અપને સાથ લેકર જાયેગી.' 

 સંજય છેલે પોતાના એક આર્ટીકલ માં લખેલુ કે,
 'મોત, બુદ્ધના નિર્વાણ સમયે મિંચાતી આંખ છે. દેવદૂતોની વીંઝાતી પાંખ છે. બળી ગયેલા શરીરની મુઠ્ઠીભર રાખ છે. એ કબરની ગહન ખામોશીમાં છે. એ ગંગાજળની શીશીમાં છે. ઘૂંટણની વ્યાધિમાં કે આધાશીશીમાં છે. મોત, જિંદગીને ઇન્સ્ટોલમેન્ટમાં મળેલ ભેટ છે. મોત, કયારેક ઉતાવળું તો કયારેક ખૂબ લેઇટ છે.'

મોત આ વિશ્વની સૌથી બિનસાંપ્રદાયીક ઘટના છે. કોઇ પણ ધર્મ કે કોઇ પણ સ્ટેટ્સ કે પરીસ્થીતી માં રહેલ દરેક વ્યક્તિના શ્વાસ એક દિવસ જરુર બંધ થઈ જ જાય છે. ગની દહીંવાલા કહેતાં ને, 'કે જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
પપ્પા એતો જરૂર કહે કે અમારે અહીં તમારા ત્યાં જેવા દગા કે પ્રપંચ નથી. દરેક પોતાની મસ્તીમાં વ્યસ્ત છે. જેટલું દુઃખ પિતાજીના અવસાન થી છે એટલું જ દુઃખ એક વર્ષ વિતવાને કારણે પણ છે. શું હવે માત્ર બે જ વર્ષ બાકી રહ્યા? પછી એક તરફી મારા દ્વારા પૂછાતાં પ્રશ્નોના આભાસી જવાબો મળવાનું ચાલુ રહેશે કે ??? 

Thursday, April 16, 2020

મારો 'લાડવો'...વ્હાલનો દરિયો...

હીમ શી ઠંડી સવારનો પહેલો પહોર,
કમરને મરડી, જાતે ટચાકા ફોડી એને યાદ કરી...
આખરે મીઠા થાકનો અંત આવ્યો:
ટાણું સુખેથી ઊકલી ગયું...
હવે,
ઘરની ચીજવસ્તુઓ ગણે છે
એ વૃધ્ધ
સંભારી સંભારી મેળવે છે એ અબોલ વસ્તુઓ,
સંભાળી સંભાળી ગોઠ્વે છે એ રોજ ઉપયોગી વસ્તુઓ:
થાળી, વાડકા, ગ્લાસ, ડિશ ગણે છે એ ધૃજતા છતાં મક્કમ હાથ-
એક એક વસ્તુ સાથે અનેક યાદો તાજી કરે એ આજે પણ ઘબકતુ હૃદય...
આ ગ્લાસ, આ ડીશ, આ પ્લેટ તો આ ઘરઘંટી...જાણે યાદો નો પટારો છે આ નિર્જીવ વસ્તુઓ આ સજીવ પરદેશમાં...
હાશ,
બધું બરાબર છે
બધું અકબંધ છે
ક્યાંય કશુંય ખોવાયું નથી
ક્યાંય કશુંય ગયું પણ નથી-
પરંતુ,
અચાનક કંઈક યાદ આવતાં
એ ઓરડા વચ્ચે
ઊભો રહી જાય,
અને એની જ
આંખોમાંથી ટપકું ટપકું થવા મથી રહ્યો છે
એનો ખારો ખારો પ્રશ્ન :
‘મારો 'લાડવો' તો પરણી સાસરે ગયો પણ મારી 'પત્નીકા' ક્યાં ?’
આજે પણ હું એકલો જ...???
રડીશ નહીં નો નિર્ણય વર્ષો પછી પણ એના પ્રશ્નો ની ખારાશને આંખો ભીની કર્યા વિના જ હોઠો પર કાગળનું સ્મિત છોડી સુકાઇ જાય છે.
ફરી કમર સિધી કરી બે ચાર ટચાકા ની તાજગીથી કાગળના સ્મિત ને ચહેરા પર ઓઢી આંખો બંધ કરી એ બેસી ગયો...

થોડો‌ સમય જાણે સ્મશાન શી શાંતિ પ્રસરી ગઇ વાતાવરણમાં અને અચાનક એનાથી મોટે થી ખીજાઇને બોલાઇ જવાયું,
જાઓ કોઇ તરફડતા એ કાગળોને કહો, કે એ મારાં અક્ષરોની રાહ ના જુવે. હવે આ આગળીઓએ એના માટે કાયમી લખવાનું છોડી દીધું છે...અને ચોધાર આંસુ એ રડી પડ્યો...કદાચ વર્ષો પછી એની આંખો માં આ આંસુ જોવા મળ્યા....ખબર નહી એને  એનો 'લાડવો' યાદ આવ્યો હશે કે 'વ્હાલી પત્નીકા' ??? એને તો આખો બંધ કરી પરંતુ આજે પણ એ પ્રશ્ન નો ઉત્તર શ્મશાન શોધી રહ્યું છે...
કોઇ માટે પ્રેમ મહત્વ નો છે, કોઇ માટે સંપત્તિ...
આને એને પ્રેમ કર્યે રાખ્યો અને એણે સંપત્તિ ને...

કેતન ઠાકર
૧૪-૦૪-૨૦૨૦
#લોકડાઉન

Sunday, April 5, 2020

શું આપ કોરોના પૃફ છો ??

કોઇ પણ પ્રકારની તકરાર કે હથિયાર વિના કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં પોતાનો સપાટો બોલાવ્યો. ક્યારેય કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે વિશ્વની તમામ બોર્ડરો આવી રીતે એક દિવસ બંધ થઈ જશે. આજ સુધી જે બે દેશની સિમા બંધ થાય એ બંને દેશ પરસ્પર દુશ્મન હોય પરંતુ અહીંતો વિશ્વને સિમાઓ બંધ કરીને પણ એક કર્યું. દુશ્મન દેશના લોકો યુધ્ધમાં મૃત્યુ પામે તો સામે વાળો દેશ ખુશ થાય જ્યારે અત્યારે તો દુનિયા ના કોઈ પણ દેશમાં કોઇ મૃત્યુ પામે, સૌને દુઃખ થાય! જોકે, પોતાની નજીક ના લોકો પર અવિશ્વાસ પણ વધ્યો છે. અફઘાનિસ્તાન કે તાલીબાન ના આતંકવાદીઓ સુસાઇડ બોમ્બર નો ઉપયોગ કરતા. કોરોના આપ્યા પછી કોનો ભરોસો રાખવો ? કોઇપણ વ્યક્તિ (ખાસ કરીને અંગત વ્યક્તિ) તમને કોરોનાની ભેટ આપી શકે છે. કોના પર વિશ્વાસ રાખવો ?
વસુધૈવ કુટુંબકમ‌- One World, One Family  આપણે હંમેશા કહીએ છીએ. સાંપ્રત પરિસ્થિતિ એ આ સાબિત કર્યું. આમ પણ પરીવાર માં ભલે અંદરોઅંદર ઝઘડા ચાલતા હોય પરંતુ પરીવાર ના કોઇ એક સભ્ય પર સમસ્યા આવે ત્યારે પુરો પરિવાર એકજૂટ બની જીત હાંસલ ન થાય ત્યાં સુધી લડે. સમગ્ર વિશ્વના લોકો અત્યારે એક પરીવાર બની લડી રહ્યા છે. વિજય જરૂર થશે.
બે દિવસ પહેલા એક ફિલ્મ જોયેલી "સ્ત્રી'...આ ફિલ્મ માં કોઇ એક સ્ત્રી નું ભૂત રાત્રે ગામમાં નિકળે જે કોઇ મળે એને જીવતાં જ ઉપાડી લે, જો ઘરના દરવાજે 'સ્ત્રી તુમ કલ આના' લાલ શાહીથી ના લખેલ હોય એના ઘરમાંથી પણ પુરુષ ને ઉપાડી લે અને કપડાં ત્યાં જ છોડી દે. શ્રધ્ધા કપૂર બીજા કોઇ સ્થળથી આવેલ અને આ સ્ત્રી ને કંટ્રોલ કરવા ની રીત શોધે. ખુબ બધાં પુરુષો ગુમ થયા. આખું ગામ ડરી જાય છે. સાંજે છ વાગ્યા પછી સૌ સેલ્ફ ક્વારંટાઇન. પછી ફિલ્મનો મુખ્ય કલાકાર રાજકુમાર રાવ એના મિત્રો અને શ્રધ્ધા બહેન સાથે મળી સ્ત્રી ના ત્રાસથી કાયમી ગામને કેવી રીતે મુક્ત કરવો એ માટે રસ્તાઓ શોધતા કોઇ એક લેખક કમ જ્યોતિષ પાસે જાય છે. કૌઆ બિરીયાનીના પાત્રથી પ્રખ્યાત અહીં જ્યોતિષ ના પાત્ર માં છે અને તેઓ રસ્તો બતાવે છે જે હિરો પાસે જ હોય છે. અંતે એ સ્ત્રી નો ચોટલો કાપવામાં આવે છે... શ્રદ્ધા બહેન ની વિદાય થાય છે. ગામમાંથી સ્ત્રી ના ભૂત નો ડર પુરો થાય છે. હવે ગામનાં ગોંદરે એ સ્ત્રી ની મૂર્તિ પાસે લખેલ જોવા મળે છે 'સ્ત્રી તુમ હમારી રક્ષા કરના'...Self Quarantine એ ગામમાંથી હટાવાઇ ગઇ અને લોકો મોડી રાત્રી સુધી ટોળે વળી બેસવા લાગ્યા. જો કે, સ્ત્રી નો કપાયેલો ચોટલો શ્રધ્ધા બહેન સાથે લઇ ગયા હોઇ એ જ્યાં ગયા હશે ત્યાં લોકોએ lockdown નો અમલ શરૂ કરવો પડ્યો હોઇ શકે છે...
અત્યારે આપણને ઘરમાં રહી કોરોના સામે લડતા શિખવાઇ રહાયુ છે. કદાચ હાલની એ જરૂરીયાત હશે !! મારી દૃષ્ટિએ હવે કોરોનાની રસી સાથે સાથે કોરોના ના વાયરસ સાથે કેવી રીતે જીવી શકાય એ શિખવાની જરૂરિયાત છે. રસી વૈશ્વિક રીતે ઉત્પાદન કરી સૌને મળતી થાય એ માટે વર્ષ - બે વર્ષ નિકળી જાય. દુનિયા ના કોઈ દેશને વર્ષ સુધી Self Quarantine રાખવા શક્ય નથી. કોરોના નો ઉપચાર જરૂર મળશે. ચિંતા કરવાની જરૂર નથી. રાવણ ને મારવા રામનો જન્મ થયો હતો, નાગને નાથવા કૃષ્ણ ગયા હતાં એવી રીતે કોરોનાનો નાશ  કરવા કોઇ ક્યાંકતો જન્મ્યા જ હશે ને ? બીજા વાયરસ ની જેમ કોરોના સાથે એને પોતાનો કરી કેવી રીતે રહેવું એ શિખવું જરૂરી છે. શક્ય છે  ચાર-છ મહિના પછી એમ કહેવાય કે તમારા રિસ્ક પર નોકરી કરો, ખરીદી કરો, તહેવાર ઉજવો અને હરો ફરો... ભારતીય માટે આપણા જનીન બંધારણ ને કાયણે શક્ય છે. વિશ્વ ના ખૂણે ખૂણે કોરોના નો સપાટો છે. ખરેખર તો ઇટલી, જર્મની, અમેરિકા, કેનેડા, સ્પેન કે અન્ય દેશો જ્યાં કોરોના વધુ ફાલેલો છે એ દેશોમાં વસતાં કેટલા  ભારતીય મૂળના લોકો ને થયો ? સંખ્યા બહુ ઓછી આવશે. કોરોના ની રસી ની શોધ સાથે કેવા જનીન વાળા વ્યક્તિ ઓ આ વાયરસ સામે લડી શકે છે એ શોધ કરવી પણ જરૂરી છે. દવા શોધાઈ નહી હોય અને આપણે બહાર નિકળવું પડશે ત્યારે કોરોના પૃફ હોવું જરૂરી બનશે. ચિંતા ના કરીએ, કોઈ પણ શક્તિશાળી વ્યક્તિ કે વાયરસ જયારે અનીતિ કરી નિર્દોષ પર અત્યાચાર કરવા નું શરુ કરે છે ત્યારે એને મારનાર તૈયાર જ હોય છે. બસ, યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ આવા રાક્ષસી પૃવૃત્તી કરનાર વાયરસ નો ખાતમો કરતાં હોય છે. આપણા ધર્મો અને સંસ્કૃતિ આ અંગે ઘણાં જાગતા ઉદાહરણો આપેલ છે. આથી જ કોઈ પણ રક્ષાસી પૃવૃત્તી કરનાર સામે મન ને એકાગ્ર કરી જેવો રક્ષાસ એવી રમત રમી એનો નાશ કરવો. કોરોના ને સાથે રાખી, એનો નાશ કરવો શક્ય નથી ??? છે બસ સમય ની રાહ જોવી. સમય નો પણ સમય આવે જ.
અત્યારે સમય છે સરકાર શ્રી ની સુચના મુજબ ઘર માં રહી પોતાને તન અને મનથી વધુ મજબુત બનાવવાનું. પરીવાર સાથે રહી આત્મીયતા વધારવાનું અને જીવન ને આધ્યાત્મિક જ્ઞાન થી વધુ તરોતાજા બનાવવું.
ચલો, અત્યારે જ પુછી લો...
શું આપ કોરોના પૃફ છો ?
શું કોઇ પણ પ્રકારની દવા વિના બહાર નિકળવા આપ તૈયાર છો ? નથી તો આપના શરીર ને જીવવા લડવા તૈયાર કરો...

Friday, February 28, 2020

આજના રાવણ.... રાવણ કૂળના વંશજ...

વાલ્મીકિ રામાયણ મુજબ ભગવાન રામના ધર્મપત્ની સિતાજીને રાવણ ઉપાડી ગયો એના પછી લગભગ બે મહિને ભગવાનને સિતાજી ને કયા સ્થળે રાખ્યા છે એ જાણ થઇ. રાવણ જેણે કોઇના પરીવારમાં આગ લગાવી  એની સામે લડવા જવા રામે તમામ તૈયારીઓ કરી પછી જ લંકામાં પગ મૂકેલ જેથી એમની જીત સૂનિશ્ચત થાય. એ સમયે રામ સામાન્ય વ્યક્તિ હતા જ્યારે રાવણ સત્તા પર બેઠેલ. પરંતુ ભગવાન રામની આયોજન બધ્ધ લડાઈ એ રાવણને સત્તા પરથી પછાડી રાવણ કૂળનો નાશ કર્યો. ભગવાન રામે આ ઘટના દ્વારા સમાજ ને એવો સંદેશો આપ્યો કે પરીવારમાં આગ લગાડનાર સામે લડનારે ધિરજ અને લડાઇની તમામ તૈયારીઓ રાખવી, પછી જ યુદ્ધભૂમિ માં જવું. રામ રાવણનું યુધ્ધ તેર દિવસ ચાલેલા પરંતુ શોધ અને તૈયારી માં નવ મહિના સત્તર દિવસ લાગેલ. લગભગ દશ મહિના પછી રામ સિતાજી ને દુષ્ટ રાવણથી છોડાવી શકેલા.
સમાજમાં આવા કેટલાક રાવણ પરીવાર આજે પણ જોવા મળે છે જેઓ ભલે શિક્ષિત કે સત્તા પર હોય પરંતુ લોકોના પરીવારમાં આગ લગાવી, પતિ-પત્ની વચ્ચે ઝઘડા કરાવી ખુશ રહેતા હોય !!!  રાવણ દ્વારા સિતા હરણ જેમ કોઇની પત્નીને ઉપાડીને જવૂ એજ રાવણ કામ નથી પરંતુ કોઇ પત્ની ને ચઢાવી પોતાની હાજરીમાં એની પત્ની પોતાના જ પતિથી વાત ના કરી શકે અથવા પતિ પત્ની વચ્ચે  ઝઘડા થાય અને અંતર વધે એવા પરીવાર દુષ્ટ રાવણથી પરીવાર ના લોકો કહી શકાય! પરદેશ રહેતા કોઈ પુરુષ ની પત્નીને પોતાની સત્તાના ભોગે પટાવી દુષ્કૃત્ય કરવું એ પણ રાક્ષસી કૃત્ય જ કહી શકાય. પોતાની ખુશી અને સ્વાર્થ ખાતર કોઇના પરીવારમાં આગ લગાડનાર આવા‌ કલીયુગના રાવણ પરીવારના લોકો સામે પોતાની જીત માટે સંપૂર્ણ તૈયારી, પૂરતા હથીયાર અને એમના જેવા છળકપટથી ભરપુર બની ને પછી જ એમના ગઢમાં લડવા જવું....ધીરજ રાખી લડવું, એમ ભગવાન રામે શિખવ્યું! રામ જેવા સત્ય અને ધર્મના રસ્તે ચાલનાર વ્યક્તિ જ્યારે પૂરી તૈયારી સાથે રાવણ સામે લડવાનો નિર્ણય કરે એનો અર્થ પતિ-પત્ની ને દૂર રાખનાર રાવણ પરીવાર નો અંત નિશ્ચિત છે. દુર્જન સામે લડનાર પત્ની ને રાવણ ચૂગલમાથી છોડાવવા સત્યમાર્ગ પર ચાલનાર રામ જેવા સજ્જનને સમાજમા જ્યાં હોય ત્યાં મદદ કરનાર  મળતા જ રહે...અને યુધ્ધમાં  જીત નિશ્ચિત છે. 
જે લોકો‌‌ કોઇ પણ પરીવારમાં ઝઘડા કરાવવામાં સહભાગી હોય, પતિ પત્ની વચ્ચે ઝઘડા કરાવી રાજી થતાં હોય, પતિ-પત્ની વાત પણ ન કરે એવી અપેક્ષા રાખતાં હોય કે કોઈ સજ્જન વ્યક્તિની પત્નીને પોતાની સંપતિની લાલચ આપી પોતાના વશ કરે અથવા કુલ્ટા સ્ત્રી થી ભોળવાઈ કોઈ સજ્જન ને દગો દે આવા લોકો રાવણ વંશના કહી શકાય ! આવા  લોકો કોઇની સિતાના હરણ કરનાર રાવણ વંશના વ્યક્તિ ને રાવણ જેવી સજા આપવા ભગવાન રામના આશીર્વાદ રાવણ સામે લડનારને મળતા જ હોય છે, બસ રામે ગાંડીવ હાથમાં લેવું...જીત નક્કી જ છે..
દરેક વ્યક્તિ એ રામાયણ અને મહાભારત વાંચવું. પોતાના તમામ પ્રશ્નોના જવાબ મળશે.

Tuesday, February 25, 2020

મારે મને જ મારવો છે...

મારી અંદર જીવતા એક પ્રેમીને મારે મારી નાખવો છે, બહુ નડે છે યાર, રોજ રડે છે એનો પ્યાર ... રાત્રે નીંદર આવવા દે નહિ અને સવારે પથારીમાં  આળસ મરડીને જાગવાની જાહોજલાલી ભોગવવા દે નહિ. હર ક્ષણે પ્રેમભર્યા દિવસોની યાદો, મીઠા ઝગડાની મીઠાસ અને વર્તમાનના મહેણાંટોણાની યાદ અપાવી મરી પડી રહેલ દેખાતી  માણસાઈ- સહાનુભૂતિ સંવાદ ની બુમો પાડતો એ હર પલ મને જ સામો મળી જાય છે. અનેકવાર વિચારશૂન્ય બની,  કાઢીને મન મસ્તિકની  બહાર ફેંકવાની કોશીશ કરૂ, પરંતુ એ સાલ્લો  જાય જ નહીં... એને સમજાવવુ છે કે આ એ ઉંમર નથી કે હવે સામે પક્ષે કદાચ આ એ પ્રેમ પણ નથી કે ના આ એ દેશ-દુનિયા છે જ્યાં ખરેખર કોઈ માટે, અરે કોઈ માટે જવા દો પરંતુ કોઈ પોતીકા માટે સ્વાસ લેવાતો હોય! ... કે મન ને મોજ આવે એ માટે  એકાદ  કામ થતુ હોય! આતો એક અલગ દુનિયામાં આવી ગયો છું. જ્યાં પગ મૂકી પોતીકા પણ પારકાં બની જાય. જ્યાં માંહ્યલો જીવતો હોય અને પોતાના પ્રિય ‘ઈ’ માટે હુદય ધબકતું હોય ! હવે આ જમાનામાં  તો મારા જેવા એક તરફી પ્રેમીઓનું કામ જ નથી રહ્યું. માટે જ માંરી નાંખવાનું મન થાય છે એ માણસને જે દર ધબકારે ભક્તીભર્યા ભાવે બસ એનું નામ જ રટ્યા કરે છે, અને એ કાલભૈરવ બની હર પલ ખંજર લઇ હૃદય સોંસરા ઘા ઠોકે છે.
ફરી આજે ભૂતકાળમાં ખંખોળિયું કરતાં મને મારી એજ ડાયરીમાં ડોકિયું કરવાનું મન થયું. આખ્ખા પાનામાં, દરેક લીટીમાં એક જ નામ, અનેકવાર...એક પાનું, બીજું પાનું, ત્રીજું પાનું....ત્રણસોને પાસઠમુ પાનું બસ એક જ નામ, 
અનેકવાર...લાખો વાર લખાયેલું એનું બસ એનું જ નામ. એ અતિશય કપરા દિવસોમાં અમૃતબની  રગેરગમાં લોહીને ધબકાવતું-ખુદને એ દિવસોમાં જીવતું રાખતું એનું નામ. કહેવાય છે કે કોઈ ભક્ત એના ઇસ્ટદેવની ‘ભક્તિ’ માં જે નામનું વારવાર રટણ કરે એ સિદ્ધમંત્ર બની જાય. અને એ સિદ્ધમંત્ર કાળભૈરવના રૂપમાં સતત ધબકતા હૃદયમાં સોય ભોંકવાનું શરુ કરે ત્યારે એને મારામાં રહેલ વેદના સહન કરતાં એ માણસને મારવો કે જીરવવો એ મૂંઝવણ બને. કદાચ માટે જ આજે એને મારી નાખી ‘એની’ જેમ જ   આ દુનિયાને માણવી છે....
પ્રેમી બની પોતાનું સર્વસ્વ લુંટાવવા છતાં, લુંટારા બની લુંટવાનો આનંદ લેતાં ‘એમના’ નામનું રટણ કરતાં એ માણસને મારે આજે મારવો છે....શું હું મારામાં બેઠેલા એ પાગલ પ્રેમીને  મારી શકીશ ? કે હું જ મરી જઈશ ? એનો એક શબ્દ સંભાળતા સરવા બનતા આ ‘કાન’ શું એ પાગલ નાં વિયોગનું  રુદન જીરવી શકશે ? પરંતુ મને ‘એ’ પાગલ કરે એ પહેલા પાગલ બનેલા આ મારી અંદરના પ્રેમના પુજારીને અંદરથી ધક્કા મારી કાઢવો છે, મારે મારા એ ‘પાગલ’ પ્રેમને એના નવલા  મિત્રો સાથે મનભરી પળો માણવાની ભેટ આપવા, મારા માંયલા ને મારે જ મારવો છે. ‘હું’ બિચ્ચારો ગરીબ બાપડો, એ તવંગર મિત્રો થકી. એના મિત્રોની જેમ એને અમુલ્ય સોગાદો તો હું ના આપી શકું, પરંતુ એને મન તુચ્છ મારો જીવ, ભેટ તો ધરી શકું. એની  ભેટમાં ‘આત્મ’ મારો એના શરણે. કદાચ હું એના ઘરના ઉમ્બરાનું પગ લુછણીયું બનું તો એ મારી સામે જોઇ‌ મને ધુત્કરતાં મારા હૃદય પર રોજ મલકાઇ પગ તો એ માંડશે. આ  અજાણ્યા બર્ફાની અરણ્યમાં સતત પ્રેમની ઝંખના કરતા મારી અંદરના પ્રેમીને પછાડવો છે, મારે એની જેમ જ નવા મિત્રોને ‘ઇન’ કરવા એના જ રસ્તે કાળભૈરવના પુજારી બની ચાલવું છે, મારે મને જ આજે મારવો છે.

Monday, January 13, 2020

રુણાનુબંધ

રુણાનુબંધ

ભારતમાં રહેતો ત્યારે રુણાનુબંધ શબ્દ ઘણી વાર સાંભળતો. રુણાનુબંધ અર્થાત કોઇ વ્યક્તિ સાથે આકસ્મિક સંબંધ બંધાય અને એ આપણને કોઇ પણ સ્વાર્થ કે અપેક્ષા વિના સતત મદદ કરતાં રહે. ક્યારેય કલ્પના પણ નહીં કરેલ કે પિસ્તાળીસ વર્ષે કેનેડામાં રહેવા આવવાનું થશે! ૨૦૧૭ માં અમારા સાળા નિર્મલ સિંહ ના મહેમાન થવા કેનેડા આવવાનું થયું. કેનેડા માટે કહું તો નિર્મલ સિંહ ના કારણે જ આવવું થયું. કેનેડા આવવાનું નક્કી થતા અમારા કડી ઘરના પડોશી ભરતભાઈ ના આગ્રહથી રજાઇના એમના ઘરે આવવાનું થયું. ભરતભાઈ સાથે કોઇ રુણાનુબંધ હશે કારણ એમના ઘરે રહ્યા અને એમણે જ નવરાત્રી ના ઉત્સવમાં વુડ રીવરના માલીક/ભાગીદાર અંકુરભાઇનો પરીચય કરાવ્યો અને અંકુરભાઇના સહકારથી જ ૨૦૧૮મા કેનેડા આવવાનું શક્ય બન્યું. અંકુરભાઇએ નિઃસ્વાર્થ મદદ કરી અને લફલેશ જેવા શ્રેષ્ઠ ગામમાં રહેવાની તક મળી. અંકુરભાઇ ધાર્મિક નિતીમાં માનનાર તેમજ કોઇની તકલીફ જોઇ એમના દુઃખ માં સહભાગી બનનાર હોઇ આ બે વર્ષ દરમિયાન કોઇ તકલીફ ન પડી. કદાચ મારા એમના સાથેના રુણાનુબંધ હોઇ શકે...!!
લફલેશ રહેવા આવ્યા પછી એવોજ અનુભવ અમારા પાડોશી લોરી ક્રોસેટીયર એમના પત્ની અનિટા નો થયો. પરદેશમાં આવા પડોશી મળવા એ અકલ્પનીય કહી શકાય! અહીં આવ્યો ત્યારે બરફમાં કેવી રીતે રહેવું ? ઘરના રસ્તા પરનો બરફ કેવી રીતે નિકાળવો ? ઘર કેવી રીતે સાચવવું ? ક્રીસ્ટમસ કે તહેવારોમાં સમયે શું કરવું ? કંઇજ ના સમજાય! દરેક બાબતમાં લોરી અને એમના પત્ની અનિટા મદદ કરે. એમના ત્યાં જમવા જવાનું થાય. એમને કાંઇ નવું બનાવ્યું હોય તો મોકલાવે તેમજ ઘરે કાંઇ પણ રીપેરીંગ હોય એ કરી આપે. વળી ક્યારે પણ એ માટે કાંઇ મહેનતાણું પણ ન લે. ખુબ સેવાભાવી. અમે ઘરમાં પરસ્પર વાત કરીએ ત્યારે લોરીને દાદા કહીએ. એમની ઉંમર ૭૬ વર્ષ હશે પરંતુ ક્યારેય કોઇ કામથી થાકે નહીં. મારો દિકરો હંમેશા કહે કે દાદા કેટલા મહાન છે ! કોઇ સ્વાર્થ વિના મદદ કરતાં રહે! કદાચ આ જ રુણાનુબંધ હશે !!
આમતો ધર્મગ્રંથોમાં ઘણીવાર વાંચેલ કે પૂર્વ જન્મનું કોઇ રુણ - દેવું બાકી હોય એ ચૂકતે કરવા જન્મ લેવો જ રહ્યોં. અમે ક્યારેય કલ્પના નહીં કરેલ કે કેનેડામાં અમને મદદ કરવા અંકુરભાઇ કે લોરી જેવા મહાત્માઓને અમારા પહેલાં પરમાત્મા એ કેનેડા મોકલ્યા હશે જેથી અમને એમની મદદ મળતી રહે.
આ સમયે મને કૃષ્ણ-સુદામા યાદ આવે. સુદામા ગરીબ જ્ઞાની - સ્વમાની બ્રાહ્મણ (મારી જેમ😀) હતાં જ્યારે કૃષ્ણ મહારાજ. કૃષ્ણ અને સુદામા વચ્ચે  રંણાનુબંધ ના કારણે જ સુદામા ના કાંઇ કહ્યા વિના કૃષ્ણ એ સુદામાને જરુરી બધું જ આપ્યું.
નિર્મલ સિંહ, ભરતભાઇ, અંકુરભાઇ કે લોરી અને સૌ મિત્રો- શુભેચ્છકો જે રીતે મદદ કરે છે એ માટે આભાર સિવાય શું કહી શકું ??? મુશ્કેલ સમયમાં સારા લોકનો સહકાર મળે એ પણ ખુબ જરૂરી છે. કદાચ અંકુરભાઇ કે લોરી જેવા મહાત્માઓને પરમાત્મા જરુરીયાતમંદની મદદ કરી શકે એ માટે જ સાધન સંપન્ન બનાવતાં હશે!
જીવનમાં દરેક ક્ષેત્રમાં મને કોઇની મદદ મળતી રહી છે. કદાચ એ જ 'રુણાનુબંધ'.



Sunday, December 22, 2019

નિજાનંદ


આ અઠવાડિયામાં જુદી-જુદી બે વિડીયો કલીપ વોટ્સએપ માધ્યમે જોવા મળી. અને વિચાર આવ્યો....

સાંજ પડે જેમણે હીરામોતીથી બનાવેલી ખીચડી અને લીક્વિડ ગોલ્ડથી બનાવેલ કઢી ખાવાની ટેવ હોય (...અથવા સ્વપ્ન હોય) એમણે સાંજ નું ભોજન પરીવાર થી દૂર-અલગ રહીને અને બપોરનું ભોજન સહકર્મચારીઓ વિના કરવું. 

વિશ્વ માં આજ સુધી એવું કોઈ નથી જેઓ કર્મ અને યાદો (જે બહારની કોઇ વ્યક્તિ જોઇ કે એનો ભાગ પડાવી ન જ શકે) સિવાય કંઇ પણ સાથે લઈ ને ગયા હોય. કર્મ અને યાદો સિવાય દરેક વસ્તુ બીજા ભોગવશે અને કર્મ અને યાદો નો આનંદ આપણને મળશે. સંપત્તિ થોડો સમય આજુબાજુ ના લોકો સાથે પોતાની સરખામણી કરાવી ઘમંડ આપશે-આનંદ નહીં જ.

* મૃત્યુ પછી સંપત્તિ સાથે લઈ જનાર કોઇ મહામાનવને જાણતાં હોવ તો માહિતી આપવા વિનંતી.

એવા ઘણા કિસ્સાઓ જોવા મળશે કે સંપત્તિના અતિ મોહના કારણે  કેટલાક પોતાના જીવનસાથી કે સંતાનને છોડી આજીવન ખાલીપા સાથે સંપત્તિ ભોગવે.

ભલે આજે જ મૃત્યુ આવે (મૃત્યુ વહેલું આવશે તો નવો જન્મ પણ વહેલો મળશે) પરંતુ  દુન્વયી તકલીફો ભૂલી છેલ્લા શ્વાસ સુંધી મારી આસપાસ ના સૌ કોઇ સાથે જીવનનો આનંદ મળતો રહે એવી પ્રભુ પ્રાર્થના....

દશમાં ધોરણમાં ભણતો ત્યારે અભિયાન સામાયિકમાં‌ વાંચેલ...
...Lead the life in such a way that your cremator may seed few drops of tears.

કોઇ પણ પ્રકારના આવરણ કે શરત વિના પરીવાર,પડોશી, મિત્રો અને વિશ્વ ના તમામ લોકો- સૌને પ્રેમ કરીએ...

Monday, December 16, 2019

કૈકેયીના કુંવર - જશોદાના જાયા


કહેવાય છે કે કૈકેયી રાજા દશરથ ના મહારાણી જ નહીં પરંતુ મિત્ર અને માર્ગદર્શક પણ હતાં. રાજા દશરથ કોઇ નિર્ણય લેવામાં દ્વિધા અનુભવે ત્યારે કૈકેયી નું માર્ગદર્શન લેતાં. એમ પણ કહેવાય છે કે યુધ્ધ સમયે કૈકેયી રાજા દશરથ સાથે  યોધ્ધા તરીકે યુધ્ધ લડવા પણ જતાં. પરીવાર ને સાથે રાખી સૌને સરખો પ્રેમ આપવામાં કૈકેયી મોખરે હતા. રધુકૂળ માં કૈકેયી નું સ્થાન ખુબ મહત્વનું અને પુજનીય હતું....

જો કૈકેયી મંથરાની દૃષ્ટિએ ભગવાન રામને ન જોયા હોત અને ભરત જન્મ પહેલાં રામને અપાયેલ કુંતા જેવો માતૃપ્રેમ જીવન ભર  આપ્યો હોત તો....તો કદાચ રામ બ્રહ્માંડમાં સાત હજાર વર્ષ થી ભગવાન તરીકે ના પુજાત....અને કૈકેયીને લોકો આજે પણ સાવકી મા તરીકે ઉદાહરણ આપી ધુત્કારતા ના હોત....

કૃષ્ણ પણ માતા જશોદા માટે સાવકા‌ જ હતાં. પરંતુ માતૃ વાત્સલ્ય ની મૂર્તિ બની ગયા અને હજારો વર્ષ પછી આજે પણ લોકો જશોદા એ કૃષ્ણ ને આપેલ માતૃપ્રેમ ને યાદ કરે છે, પૂજે છે. આજે પણ લોકો કૃર સાવકી માતા તરીકે કૈકેયી ને યાદ કરે તો અપાર પ્રેમ આપનાર માતૃવાત્સલ્ય તરીકે જશોદાને યાદ કરે. કૈકેયી ને જશોદા બનતાં હજારો વર્ષ પાપ કર્મના કારણે વેદનાઓ ભોગવવી પડી.


કુદરતની પણ ગતી ન્યારી છે. રામ અવતારમાં કૈકેયી એ રામ લક્ષ્મણ ને પોતાના પુત્ર ભરતના મોહને કારણે ૧૪ વર્ષનો વનવાસ આપેલ. આપણને એમ કે ચૌદ વર્ષ શામાટે ? એ સમયમાં એવો નિયમ હતો કે કોઇ રાજા ચૌદ વર્ષથી વધારે રાજ્ય બહાર રહે તો એમનો રાજા તરીકે હક પુરો થાય. કૈકેયી ને મંથરા નું પૂરું માર્ગદર્શન. આજે પણ આવી મંથરા માં કે માર્ગદર્શક તરીકે સમાજ માં જોવા મળે છે. જો કે મંથરા પ્રકૃતિ ધરાવનાર લોકો પાછલા જીવનમાં ખુબ રિબાય છે. સાથે સાથે એમની સાથે રહેનાર લોકો પણ એમના પાપ માં સહભાગી બની આંખ આડા કાન કરી કાંઇ જ કહ્યા વિના જોતાં હોઇ તેઓ પણ પાપ કર્મોના એટલા સહભાગી બને છે. મંથરાએ કૈકેયી ને એના પિયર પક્ષમાં તપાસ કરી રાજગાદી ના નિયમો પૂછ્યા હશે ? મેં સમાજમાં આવા ઘણા માં અને ભાઇ જોયા છે જેઓ  દિકરીના રુપિયા અને સત્તા ભોગવવા એના પરીવાર ને વેરવિખેર કરી નાંખે. આવા લોકો ને પરમાત્મા ક્યારેય માફ ના કરે અને એથી જ કહેવાય છે કે 08,63,874 વર્ષ સુધી કૈકેયી, મંથરા અને એના ભાઇ યુદ્ધજીત
નો અતૃપ્ત જીવ ભટકતો રહ્યો અને કૃષ્ણ અવતાર માં કૈકેયીએ જશોદાનો જન્મ લિધો, મંથરા એ પુતનાનો જન્મ લિધો અને યુદ્ધજીતે પુત્રના ના સાથી રાક્ષસનો જન્મ લીધો. કૈકેયી માતા હોઇ રામ લક્ષ્મણ (કૃષ્ણ અને બલરામ) મારી ના શકે વળી રામે પણ કૈકેયીની ભૂલ માફી કરી મોક્ષ આપવા પાલક પુત્ર કૃષ્ણ તરીકે જન્મ લીધેલ. કૃષ્ણ ના માતા દેવકી પરંતુ સાવકી માતા બની જશોદા એ કૈકેયી અવતારમાં કરેલ પાપકર્મથી મોક્ષ લીધેલ. જે સાવકી માતા સંતાન તરીકે કોઇને સ્વિકારે તેઓ એ સંતાનને તરછોડવાની ભૂલ ના કરવી જોઇએ નહીંતર તરછોનાર માતા, એને મંથરા બની સાથ આપનાર સાથી અને યુધ્ધજીત જેવા ભાઇઓએ ફરી જન્મ લઇ પાપ મૂક્ત થવું પડશે.
આપણા શાસ્ત્રોમાં જીવન જીવવાના દરેક પાસા છે. આપણે ક્યારેય પોતાના સ્વાર્થ ખાતર સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી અને દોષ નશીબનો નિકાળીએ્
સંતાન સાવકુ હોય જ નહીં, ઉછેરનારના સાવકા વિચારો જ સંતાન વચ્ચે ભેદ ઊભો કરે છે. માટે જ કહેવત બની હશે, છોરું કછોરું થાય તો પણ માવતર કમાવતર ન થાય...!

જો વાલિયા લુંટારા ના પાપમાં સહભાગીતા પરીવારે બતાવી હોત, વાલીયાના પરીવાર પ્રેમના કારણે ત્યાગને સમજ્યા હોત કે કામમાં સહભાગી બન્યા હોત તો આજે વાલ્મીકિ ઘરેઘરે રામાયણ ન પહોંચ્યું હોત...

કૈકેયી, કૈકેયીના ગુરુ મંથરા અને વાલીયાના પરિવાર ને વંદન....જેમના કારણે વિશ્વ ને રામ સ્વરૂપે ભગવાન અને વાલ્મીકિ સ્વરૂપ ભક્ત મળ્યા....
કલ્પના તો કરો એ રાત્રે દશરથ રાજાની માનસિક સ્થિતિ કેવી અસહ્ય હશે ?
સવારે દિકરા રામનો‌ રાજ્યાભિષેક...
રાત્રે રામના સાવકા માતા કૈકેયી નો નિર્ણય કાંતો રામને વનવાસ અને ભરતને ગાદી,
કાંતો રાજા દશરથ થી કાયમી છૂટા થવું...આ ધર્મસંકટ જેને અનુભવ્યું હોય એ જ જાણે. પુત્ર કે પત્ની ?
રાજ્યના તમામ નાગરિકો સવારે રામ રાજ્યાભિષેક થવાની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતા.... આખું અયોધ્યા હિલ્લોળે ચઢેલ અને છાતી પર પથ્થર રાખી રાજા દશરથનો નિર્ણય....
રામને વનવાસ. ભરતને રાજ ગાદી....
પરીણામ
-દશરથનુ મૃત્યુ
-ભરતનો રાજમહેલ ત્યાગ
-કૈકેયી વિધવા...
- મંથરા પાગલ
અને
રામ આજે પણ ભગવાન તરીકે પૂજાય
- દશરથની વ્યથા પર આજે પણ લોકો દયા ખાય, જીવ બાળે.
- રામ-દશરથના અતી ખરાબ સમયમાં સાથ આપનાર સૌ આજે પણ ઇતિહાસ માં અમર થયા...
અને હા,
- કોઇ માવતર પોતાના સંતાનનું નામ કૈકેયી કે મંથરા કે ભાઇ યુધ્ધજીત રાખતું નથી...

કૈકેયી દ્વારા રામને વનવાસ પછી રામ વિયોગમાં પિતા દશરથ  કૈકેયી ના શયનખંડ માં કે વતન કેકયા માં ક્યારેય પગ મૂક્યો ન હતો અને મૃત્યુ પામેલા. કૈકેયીના દિકરા ભરતે અયોધ્યા નગર બહાર ચૌદ વર્ષ ઝૂંપડી માં રહ્યા- રાજમહેલ નો ત્યાગ કરી મોટાભાઈ રામની રાહ જોઇ.

કૈકેયી ના આત્માને મોક્ષ આપવા કૃષ્ણ (સમયે લક્ષ્મણ બલરામ માતા રોહિણી અને પિતા વાસુદેવ ના દિકરા, કૃષ્ણ ના સાવકા મોટા ભાઇ જ્યારે રામ અવતારમાં તેઓ રામના નાના ભાઇ લક્ષ્મણ હતાં. રાજા દશરથ ના બીજાં પત્ની સુમિત્રા - દશરથ ના દિકરા લક્ષ્મણ હતાં. કેવો સંયોગ???) જેઓ સાવકી માતા કૈકેયીને મોક્ષ આપવા જશોદા ના  જાયા (દિકરા) તરીકે ઉછર્યા. હજારો વર્ષ પછી આજે પણ લોકો જ્યારે કોઇ કૃર માતા નું ઉદાહરણ આપે ત્યારે કૈકેયી નું નામ આપે અને ખુબ પ્રેમાળ આદર્શ માતાનું ઉદાહરણ આપે ત્યારે જશોદા નું ઉદાહરણ આપે. કદાચ આજે પણ કુદરત ઘણી કૈકેયી જેવી માતાઓની ભૂલને માફ કરી મોક્ષ આપવા સાવકા સંતાન ને પ્રેમ આપવા તક આપતાં હશે પરંતુ મંથરા રુપે (માતા કે મિત્ર સમાન કોઇ) ભાઇ યુદ્ધજીત ( ખુદના ભાઇ કે ધર્મના ભાઇ જેવા) જેવાની ચઢામણીથી આ તક ગુમાવી વધારે પાપ કર્મ કરે છે. આવા લોકોને કુદરત એક તક આપે છે પરંતુ કલીયુગ કેટલીક મહિલાઓ અને પુરુષો ને સાવકા માતા પિતા બની પોતાનો પ્રેમ આપતાં અટકાવે છે. સાવકા માતા પિતા બનવાની તક ગયા જન્મમાં કરેલી ભૂલોની ક્ષમા રુપે હોય છે. પરંતુ આ સમજણ એમને નથી હોતી. હું એવા કેટલાક ને ઓળખું છું જેઓ નંદ જશોદા જેવા શ્રેષ્ઠ સાવકા માતા પિતા છે... જ્યારે એક બે પોતે નંદ જશોદા જેમ રહે પરંતુ બીજાને કૈકેયી બનવા પ્રેરણા આપે.

સંતાન સાવકુ હોય કે પોતાનું, સ્વિકાર્યું છે તો પ્રેમ આપીએ નહીંતર તરછોડવામા સાથ આપનાર સહિત તમામ કુદરતની સજા ભોગવવા તૈયાર રહીએ.સમાજમાં, ધર્મગ્રંથોમાં સાવકી માતાના સંતાન પર અત્યાચાર ની કથા જોવા મળશે પરંતુ સાવકો પિતા જોવા નહીં મળે. પુરુષ બીજાના સંતાનને પોતાના તરીકે સ્વીકાર કરે પછી જીવનભર સાથ આપે છે, જ્યારે સ્ત્રી સમય આવ્યે નફા નૂકશાન ની ગણતરી કરી મંથરાઓના માર્ગદર્શન ને કારણે સંતાન ને કોઇ પણ સમયે છોડી દે છે...અને જાતે જ પાપકર્મ ની સજા ભોગવે છે.

અને અંતે,

જો તમને આ જન્મમાં સાવકા માતા કે પિતા બનવાની તક મળી છે કે ત્યજાયેલા બાળકના પાલનનો કોઇએ તમારા પર ભરોસો મૂક્યો છે તો આ તક પરમાત્મા એ તમને જશોદા-નંદની જેમ પૂર્વ જન્મના કોઇ પાપકર્મ નું પ્રાયશ્ચિત કરવા આપી છે. જો આ જન્મમાં પણ તમે એ બાળક પર કૈકેયી, મંથરા કે યુધ્ધજીત જેવો વ્યવહાર કરશો તો કર્મના સિદ્ધાંત મુજબ તમારા જીવનના ઉત્તરાર્ધમાં બહું ખરાબ રીતે ભોગવવું પડી શકે છે. પરમાત્મા એ‌ આપને 'નંદ-જશોદા' ના ઐતિહાસિક ઉદાહરણ ને સમાજ સમક્ષ સાર્થક કરવા તક આપી છે....એ સંતાનને ઉછેરવા ઉર્જા પણ પરમાત્મા આપશે જ. આપ કલીયુગમા દ્વાપરયુગ નું ઉદાહરણ પુરું પાડો એવી શુભકામનાઓ...

કહેવાય છે કે વર્ષો સુધી રામને ભરત કરતા પણ વધુ માતૃપ્રેમ આપનાર કૈકેયીએ રાજગાદી અને સંપત્તિ ખાતર રામને વનવાસ આપ્યો. આજે કોઇ પોતાની દિકરીનું નામ કૈકેયી રાખતા નથી.

આપને સાવકા માતા પિતા બનવાની તક મળી છે- આપે સ્વિકારી છે તો એ સંતાનને થોડાં વર્ષો રાખી ત્યજી દેવાની ભૂલ ન કરતા. પરમાત્મા ક્યારેય માફ નહીં કરે... મરજી આપની... અંતે, માતા બનવા માટે સંતાનને જન્મ આપવો પડતો નથી. ઘણી માતા જન્મ આપેલ બાળકને ઘરમાં સુતા મૂકી ખોટા કામ કરવા જાય અને ઘણી માતા જન્મ ન આપવા છતાં સંતાન તરીકે સ્વીકારેલ બાળકને પોતાના ક્ષણ વાર માટે છૂટું ના પાડે...

સાવકા બની તરછોડાયેલા સંતાનોને પ્રેમ આપનાર  માતા પિતા રાજસ્વી સુખ ભોગવે છે જ્યારે નિ:સહાય ગાય, બ્રાહ્મણ કે બાળક પર અત્યાચાર કરનાર નું એક દિવસ બધું જ છિનવાઈ જાય છે. - ગરુડ પુરાણ


Sunday, December 15, 2019

વઘારેલા રોટલો

વઘારેલો રોટલો...

હું નાનો હતો ત્યારે આર્થિક તંગીના કારણે શાળામાં અઠવાડિયામાં ત્રણ વાર વઘારેલો રોટલો ટીફીનમા લઇ જવાનું થતું. વઘારેલો રોટલો એ મને ભાવે પણ બહુ અને અમારા માટેે દાળ ભાત રોટલી થી ઓછું નહીં. દાળભાત ત્રણ ચાર મહિને જોવા મળતા. મારા મમ્મી ના હાથનો બનાવેલ વઘારેલો રોટલો આજે પણ યાદ આવૈ છે.
શિયાળો એટલે સુખી લોકોને ચેન્જ માટે અને ગરીબ આર્થીક સંકળામળ માટે  રોટલા ની સિઝન. ઘરમાં રોટલો બનાવ્યો હોય અને વધ્યો હોય તો એ વધેલા રોટલાં માંથી વઘારેલો રોટલો સરસ બને અને અન્નનો બગાડ પણ ન થાય.


વઘારેલા રોટલો બનાવવા માટે ની જરૂરી સામગ્રી:

- રોટલાં

- છાસ
- આદુ મરચાં ની પેસ્ટ – ૨ ટી સ્પૂન
લસણ ની પેસ્ટ – જરુર મુજબ
- તેલ – વઘાર માટે
- જીરુ – વઘાર માટે
- રાઈ – વઘાર માટે
- મીઠો લીમડો – વઘાર માટે
- હળદર – સ્વાદાનુસાર
- ધાણાજીરુ – સ્વાદાનુસાર
- મરચુ – સ્વાદાનુસાર
- મીઠું – સ્વાદાનુસાર
- ગરમ મસાલો – સ્વાદાનુસાર

- પ્રમાણસર લીલાં સમારેલ મરચાં

- પ્રમાણસર સમારેલ લસણ

- પ્રમાણસર સમારેલ ડુંગળી

- સમારેલ કોથમીર

રીત :

સૌ પ્રથમ રોટલા નાં નાના પીસ કરો. આ રોટલો તમે તાજો બનાંવેલો પણ વાપરી શકો છો અને સવારનો પણ વાપરી શકો છો. હવે કડાઇ માં તેલ ઉમેરો.

તેમાં રાઈ, જીરુ નાખી વઘાર કરો. તેમા ઝીણી સમારેલી ડુંગળી અને સમારેલ લસણ, યોગ્ય પ્રમાણમાં સમારેલાં લીલાં મરચાં નાખો. ડુંગળી થોડી બ્રાઉન થાય એટલે તલ અને મીઠો લીમડો ઉમેરો. એકાદ મિનિટ પછી રોટલાના પ્રમાણમાં છાસ નાખો. છાસ નો એક ઉભરો આવે એટલે તેમાં રોટલા નાં ટુકડા ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર, ધાણાજીરુ, મરચું, મીઠું અને ગરમ મસાલો ઉમેરો. અને હલાવો. થોડી વાર એમ જ રહેવા દો.

તો તૈયાર છે વઘારેલો રોટલો. 




તો તૈયાર છે વઘારેલો રોટલો.